રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા સદીના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યામાં 14.5 કરોડ રૂપિયાની 10 હજાર સ્ક્વેર ફીટ જમીન ખરીદી છે. વૈશ્વિક આધ્યાત્મિક રાજધાની અયોધ્યામાં અમિતાભ બચ્ચન પોતાનું મકાન બાંધશે. સરયુ નદીના કિનારે આકાર લઈ રહેલા પ્રોજેક્ટમાં અમિતાભ બચ્ચને રોકાણ કર્યું હોવાના મીડિયામાં અહેવાલ છે.
22 જાન્યુઆરીના રોજ પાંચસો વર્ષથી વધુ સમયથી વિવિધ પેઢીઓએ જોયેલું સપનું સાકાર થશે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ચાલી રહ્યું છે અને 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે. ઉપરાંત અયોધ્યાની સિકલ બદલવા માટે પણ કેંદ્ર સરકારે મોટું બજેટ ફાળવ્યું છે. હવે લેટેસ્ટ રિપોર્ટનું માનીએ તો સદીના મહાનાયક અમિતાભ બચ્ચને વૈશ્વિક આધ્યાત્મિક રાજધાની અયોધ્યામાં પ્લોટ ખરીદ્યું છે. અહીં બિગ બી પોતાનું મકાન બાંધશે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, અમિતાભ બચ્ચને સરયુ નદીના કિનારે આવેલા 7 સ્ટાર પ્લોટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ એક પ્લોટ ખરીદ્યો છે. આ પ્રોજેક્ટ મુંબઈના ડેવલપર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા દ્વારા ડેવલપ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ શ્રી રામ જન્મભૂમિ મંદિરથી 15 કિલોમીટરના અંતરે આકાર લેશે. રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચને અહીં 10 હજાર સ્ક્વેર ફૂટ જમીન 14.5 કરોડ રૂપિયામાં ખરીદી છે.આ મુદ્દે વાત કરતાં અમિતાભ બચ્ચને એક નિવેદનમાં જણાવ્યું, “અયોધ્યામાં આકાર પામી રહેલા ધ હાઉસ ઓફ અભિનંદન લોઢાના ધ સરયુનો હિસ્સો બનવાનો આનંદ છે. અયોધ્યા શહેર મારા દિલની ખૂબ નજીક છે. અયોધ્યાની આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિએ સરહદોના સીમાડા ઓળંગીને ભાવનાત્મક બંધન જોડ્યું છે. આ વૈશ્વિક આધ્યાત્મિક રાજધાનીમાં હું મારું ઘર બનાવવા માટે ઉત્સુક છું.” આ હાઉસિંગ પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થાય તેવી અપેક્ષા છે.