મુંબઈમાં ઉદ્ધવ જૂથના શિવસેના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરીને હત્યા કરી દેવામાં આવી છે. જેમાં તેને ત્રણ ગોળી વાગી હોવાના અહેવાલ છે. ઘાયલ શિવસેના નેતાને લોહીલુહાણ હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર દરમિયાન નેતાનું મોત નિપજ્યું છે. બીજી તરફ અભિષેક પર હુમલો કર્યાના થોડા સમય બાદ હુમલાખોરે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના સમયે અભિષેક એ જ હુમલાખોર સાથે બેસીને ફેસબુક લાઈવ કરી રહ્યો હતો. હવે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
મુંબઈના દહિસર વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે ઉદ્ધવ જૂથના શિવસેના અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ હુમલામાં અભિષેકને ત્રણ ગોળી વાગી હતી. તેને કરુણા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે.
આ ઘટના મુંબઈના MHB પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. મળતી માહિતી મુજબ ગોળીઓનો શિકાર બનેલા અભિષેક ઘોસાલકર પૂર્વ કોર્પોરેટર છે. તે શિવસેના ઉદ્ધવ જૂથના નેતા વિનોદ ઘોસાલકરના પુત્ર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગ પરસ્પર વિવાદને કારણે કરવામાં આવ્યું હતું.