આમિર ખાનની દીકરી આઈરા ખાને 3 જાન્યુઆરી 2024ના રોજ ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા છે.હવે તેઓ રિવાજો પ્રમાણે લગ્ન કરવાના છે. આઈરા ખાન અને નૂપુર શિખરે 8 જાન્યુઆરીએ તાજ અરાવલી રિસોર્ટમાં આમિર ખાને આ રોયલ વેડિંગ માટે 176 રૂમ બુક કરાવ્યા છે.
જણાવી દઈએ કે, નૂપુર અને આઈરાએ પરિવારજનો અને ખાસ મિત્રોની હાજરીમાં રજિસ્ટર્ડ મેરેજ મુંબઈમાં કર્યા હતા. પરંપરાગત રીતે જાન ગાડી કે ઘોડા પર આવતી હોય છે પરંતુ નૂપુર દોડીને લગ્ન માટે પહોંચ્યો હતો. તેણે પોતાના મિત્રો સાથે મેરેથોન કરી હતી. વેડિંગ વેન્યૂ સુધી તે દોડતો આવ્યો હતો. વરરાજા શેરવાનીમાં આવે છે પણ નૂપુર શોર્ટ્સ અને ટી-શર્ટમાં આવ્યો હતો. લગ્નસ્થળે પહોંચ્યા પછી તે ઢોલના તાલે ખૂબ નાચ્યો પણ હતો. આમિર ખાને માંડવે આવીને ઊભેલા જમાઈનું દિલથી સ્વાગત કર્યું હતું અને તેને આલિંગન આપ્યું હતું. આઈરા અને નૂપુરના રજિસ્ટર્ડ મેરેજમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સામેલ થયા હતા.
હવે 8 જાન્યુઆરીએ ઉદયપુરની તાજ અરાવલી હોટલમાં આઈરા-નૂપુરના લગ્ન થશે. 7 જાન્યુઆરીથી મહેમાનો આવવાના શરૂ થઈ જશે. 10 જાન્યુઆરી સુધી ત્યાં વિવિધ ફંક્શનો ચાલશે. બધી જ તૈયારીઓ યોગ્ય રીતે થાય તે જોવા માટે મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ખાન 5 જાન્યુઆરીએ ઉદયપુર પહોંચી જશે.
આમિર ખાનની દીકરીના આ રોયલ વેડિંગ માટે તાજ અરાવલીમાં 176 રૂમ બુક કરાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ લગ્નમાં કેટલાય હાઈપ્રોફાઈલ મહેમાનો સામેલ થશે. લગ્નમાં 250 મહેમાનો આવશે તેવી સંભાવના છે.
આમિર ખાનના જમાઈ નૂપુર વિશે વાત કરીએ તો તે વ્યવસાયે ફિટનેસ ટ્રેનર છે. તે બોલિવુડ સેલિબ્રિટીઝને ફિટનેસ ટ્રેનિંગ આપે છે. તેણે આમિર ખાન સહિત કેટલાય મોટા સેલેબ્સને ટ્રેનિંગ આપી છે. આઈરાએ પણ નૂપુર પાસે જ ફિટનેસ ટ્રેનિગ લીધી છે. પહેલી મુલાકાતથી જ તેઓ એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. જે બાદ તેમની વચ્ચેની નિકટતા વધી અને આખરે હવે તેઓ પતિ-પત્ની બની ગયા છે.