રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેંક પર આકરા નિયંત્રણો મૂક્યા છે. RBIના ધ્યાને આવ્યું કે, પેટીએમ પેમેન્ટ બેંકમાં કથિત રીતે કેટલાય ગ્રાહકોના KYCના નિયમોનો ભંગ થયેલો છે. જેના કારણે મની લોન્ડ્રિંગની ચિંતા ઊભી થઈ હતી. જેના કારણે RBIને તેના ઉપર નિયંત્રણો મૂકવાની ફરજ પડી હતી. RBIના ધ્યાને આવ્યું કે, મોટી સંખ્યામાં ગ્રાહકોના કેવાયસી આપવામાં નથી આવ્યા અને લાખો ગ્રાહકોના પાનકાર્ડની પણ ખરાઈ નહોતી થઈ શકી. હજારો કેસ એવા નીકળ્યા જેમાં એક જ પાનકાર્ડ 100થી વધુ કસ્ટમર્સના આઈડી સાથે લિંક કરવામાં આવ્યું હોય જ્યારે કેટલાક કિસ્સામાં તો એક પાનકાર્ડ સાથે 1000 કસ્ટમર આઈડી લિંક થયેલા હતા. જે મોટા દુરુપયોગ તરફ ઈશારો કરે છે.
પેટીએમ પેમેન્ટ્સ બેંકના પ્રવક્તાએ અમારા સાથી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહ્યું “રેગ્યુલેટર સાથે સમયાંતરે કરેલી ક્રિયાપ્રતિક્રિયા દરમિયાન બેંકે હંમેશા સુપરવાઈઝરી સૂચનાઓનું પાલન કર્યું છે. એટલે જ અમે તમને વિનંતી કરીએ છીએ કે, 31 જાન્યુઆરીએ RBIએ બહાર પાડેલી પ્રેસ રિલીઝને વળગી રહો અને કોઈપણ ધારણાઓ ના બાંધો. RBIએ તાજેતરમાં આપેલા નિર્દેશો હાલ ચાલી રહેલા સુપરવિઝન અને પાલન પ્રક્રિયાનો ભાગ છે.”
પ્રીપેઈડ સાધનોના કેસમાં RBIએ નોંધ્યું કે, કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન લઘુત્તમ મંજૂરી સાથેના KYCથી થઈ રહ્યા હતા, જે રેગ્યુલેટરી નોર્મ્સનો ભંગ છે, તેમ સૂત્રોએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, પેટીએમ પેમેન્ટ્સ બેંકના મેનેજમેન્ટ સાથે મહિનાઓ સુધી ચર્ચા કર્યા બાદ RBIએ માર્ચ મહિનાથી અકાઉન્ટ્સ અને વોલેટ્સમાં નવા ફંડ લેવા પર રોક મૂકી હતી. જોકે, પેટીએમ બેંક અકાઉન્ટમાંથી વિડ્રોઅલ અને ટ્રાન્સફરને મંજૂરી આપેલી છે. આ પ્રતિબંધ મૂકતી વખતે રેગ્યુલેટર આ કડક પગલું લેવા પાછળના કારણનો ખુલાસો નહોતો કર્યો.