કોંગ્રેસ માટે દરરોજ નવી નવી સમસ્યા પેદા થઈ રહી છે જેમાં તેના નેતાઓ દ્વારા પાર્ટી છોડવી એ સૌથી મોટી સમસ્યા છે. આપના એક ધારાસભ્યએ પાર્ટી છોડ્યા પછી હવે વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી જે ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તેના કારણે લોકસભાની ચૂંટણી અગાઉ ફટકો પડ્યો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપની મદદથી કોંગ્રેસમાં ભંગાણની પ્રક્રિયા જોરશોરથી ચાલુ છે. આજે મહેસાણા જિલ્લાના વિજાપુરના કોંગ્રેસી ધારાસભ્ય સી જે ચાવડાએ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ હવે ગમે ત્યારે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. ભાજપના નેતા જયરાજસિંહ પરમારે આ ઓપરેશન પાર પાડ્યું હોવાનું કહેવાય છે. સી જે ચાવડાએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના નિવાસસ્થાને જઈને રાજીનામાનો પત્ર સોંપ્યો છે.
હાલમાં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના વિધાનસભ્યોની સંખ્યા 16 છે અને સી જે ચાવડાના રાજીનામા પછી તેના MLAની સંખ્યા ઘટીને 15 પર આવી જશે.કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ઉત્તરાયણ વીતી જાય તેની રાહ જોતા હતા તેવું લાગે છે. મકરસંક્રાતિ જતા જ રાજીનામાની મોસમ શરૂ થઈ ગઈ છે. તાજેતરમાં કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે પણ પોતાના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની સ્ટ્રેન્થ 182 ધારાસભ્યની છે પરંતુ હવે તેની સંખ્યા 180 થઈ જશે તેમ લાગે છે. આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી પણ થોડા સમય અગાઉ પોતાનું રાજીનામુ આપી ચૂક્યા છે.