ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા સામે રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. મિહિર દિવાકર ધોનીના ખાસ મિત્ર છે અને બંને બિઝનેસ પાર્ટનર પણ છે. મિહિરે ધોની સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
અહેવાલ અનુસાર, મિહિર દિવાકરે વિશ્વભરમાં ક્રિકેટ એકેડમી ખોલવા માટે 2017માં એમએસ ધોની સાથે ડીલ કરી હતી. ડીલમાં ફીની ચુકવણી અને નફાની વહેંચણી નક્કી કરવામાં આવી હતી પરંતુ દિવાકરે ડીલમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યુ ન હતું. પરિણામે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તમને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો.
ધોનીને 15 કરોડનું નુકસાન થયું
મહેન્દ્ર સિંહ ધોનીએ સૌ પ્રથમન વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં કાનૂની નોટિસ પણ મોકલવામાં આવી હતી. જે બાદ પણ કોઈ ઉકેલ આવ્યો નહતો. પરિણામે આખરે ધોનીએ રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. ત્યારબાદ તેમના વકીલ દયાનંદ સિંહે દાવો કર્યો કે, આર્કા સ્પોર્ટ્સે ધોની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે તેને રૂપિયા 15 કરોડનું નુકસાન થયું છે.