અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ રામનગરી પહોંચી રહ્યાં છે. ગઇકાલે 5 લાખ લોકોએ રામલલાના દર્શન કર્યા હતા. આ દરમિયાન ભારે ભીડને કારણે કેટલીક અવ્યવસ્થા પણ સર્જાઇ હતી. હવે યુપી સરકારે શ્રદ્ધાળુઓની ભીડને જોતા મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અયોધ્યામાં રામલલાના દર્શન હવે રાત્રિના 11 વાગ્યા સુધી થઇ શકશે.
ખાસ મહેમાનોને યોગી સરકારની અપીલ
યોગી સરકાર તરફથી કહેવામાં આવ્યું કે ખાસ મહેમાન (VVIPs) 10 દિવસ સુધી અયોધ્યા ના આવે. જો આવે તો તંત્ર અથવા શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટને જણાવીને જ આવે, જેથી તેમણે સારી સુવિધા આપી શકાય. અત્યારે શ્રદ્ધાળુઓની ભારે ભીડ છે.
એડીજી કાયદો વ્યવસ્થા પ્રશાંત કુમારે કહ્યું કે રામ ભક્તોને સવારે 7 વાગ્યાથી રાતના 11 વાગ્યા સુધી દર્શનની પરવાનગી હશે.
અત્યારે અયોધ્યામાં કેવી છે સુવિધા?
મંગળવારે અયોધ્યામાં રેકોર્ડ 5 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. ભીડને કારણે એવી સ્થિતિ ઉભી થઇ કે ખુદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા જવું પડ્યું હતું.ભક્તોની આસ્થાએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ દિવસે દર્શનનો નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. મંગળવારે પાંચ લાખ ભક્તોએ શ્રી રામ દરબારમાં હાજરી આપી હતી. રાત્રે 9 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરાયા હતા. વ્યવસ્થા સુચારૂ બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે પોતે સાંજે ચાર્જ સંભાળ્યો હતો. તેમણે ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ ધીરજ રાખવાનો આગ્રહ કર્યો. આ દરમિયાન અયોધ્યા આવતી રોડવેઝની બસોને પણ રોકવી પડી હતી.